
તાજેતરના મહિનાઓમાં, ટ્રેનોમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તાને લઇ સવાલ ઉઠ્યા છે. તેવામાં IRCTC એ મુસાફરોને ફક્ત અધિકૃત પ્લેટફોર્મ દ્વારા જ ભોજન બુક કરવાની સલાહ આપી છે.

તાજેતરના મહિનાઓમાં, ટ્રેનોમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તાને લઇ સવાલ ઉઠ્યા છે. તેવામાં IRCTC એ મુસાફરોને ફક્ત અધિકૃત પ્લેટફોર્મ દ્વારા જ ભોજન બુક કરવાની સલાહ આપી છે. જ્યારે રેલ્વેની ઇ-કેટરિંગ સેવાના વિસ્તરણથી ઘણા ખાનગી પ્લેટફોર્મ આ વ્યવસાયમાં આકર્ષાયા છે, ત્યારે રેલ્વે જણાવે છે કે આ બધી કંપનીઓ અધિકૃત નથી.

IRCTC ના જણાવ્યા અનુસાર, કેટલાક પ્લેટફોર્મ અધિકૃતતા વિના અને રેલ્વે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહીને ઈ-કેટરિંગ સેવાઓ આપી રહ્યા હતા. આનાથી મુસાફરોને ગુણવત્તાવાળો ખોરાક ન મળવો, ચુકવણી સંબંધિત વિવાદો અને ડેટા સુરક્ષા ચિંતાઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જ કંપનીએ આ કડક વલણ અપનાવ્યું છે.

અનધિકૃત પ્લેટફોર્મ્સ પર કાનૂની કાર્યવાહી: IRCTC એ જણાવ્યું હતું કે પ્રારંભિક કાનૂની નોટિસ 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ જારી કરવામાં આવી હતી. ત્યારબાદ, 16 માર્ચ અને 11 એપ્રિલ, 2026 ના રોજ ઘણા અનધિકૃત ફૂડ ડિલિવરી ઓપરેટરો સામે ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. વિશેષ તપાસ અભિયાનમાં દરમિાન એવા અસંખ્ય પ્લેટફોર્મ ઓળખાયા હતા જે રેલવેની મંજૂરી વિના ઇ-કેટરિંગ સેવાઓ ચલાવી રહ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

IRCTCની કાર્યવાહીના દાયરામાં રેલરેસ્ટ્રો, રેલમિત્ર, ટ્રાવેલખાના, ટ્રેન્સકેફે, ડીઆઈબી રેલ, રેલફૂડ, કમેસસમ, ટ્રાવેલરફૂડ, ફૂડઓનટ્રેક.ઇન, ઇ કેટરિંગ એપ, ખાનાઓનલાઇન, ટ્રેનવે, રેલમીલ અને ટ્રેનમેનુ જેવા પ્લેટફોર્મ હોવાનું જાણવા મળ્યું છે.

યાત્રીઓ માટે શું છે સલાહ ?: IRCTC એ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ફક્ત તેમની ઓફિશિયલ ઇ-કેટરિંગ વેબસાઇટ, ‘ફૂડ ઓન ટ્રેક’ મોબાઇલ એપ્લિકેશન અથવા રેલ્વે દ્વારા અધિકૃત ફૂડ પાર્ટનર્સ દ્વારા જ ખોરાકનો ઓર્ડર કરે. આ ફૂડ હાઇજીન, સુરક્ષિત ચુકવણી, સચોટ બિલિંગ અને ગ્રાહક સપોર્ટ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરે છે.

રેલ્વે અધિકારીઓ માને છે કે, જેમ જેમ ઓનલાઈન ફૂડ ડિલિવરીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ તેમ અનધિકૃત પ્લેટફોર્મની સંખ્યા પણ વધી રહી છે. આ સંદર્ભમાં, મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અને સેવાની ગુણવત્તા જાળવવા માટે કડક પગલાં લેવા જરૂરી છે.






















